આરક્ષણ – રવિ પટેલ
બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો માનસિક બદલાવ આવ્યો હતો. જ્યારે વિમાન અમદાવાદની ધરતીને સ્પર્શ્યું ત્યારે રાત્રિના આઠ વાગ્યા હતા. ભરઉનાળે અમદાવાદમાં પગ મૂકવાનું મારા માટે જરા આકરું થઈ પડ્યું હતું. શરૂઆતના બે અઠવાડિયા તો હું ક્યાંયે બહાર ન નીકળ્યો કારણ કે ગરમી અને હવાફેરને કારણે બીમાર પડવાની પૂરી શક્યતાઓ હતી. આમ છતાં, અંદરોઅંદર પરિવારજનોને પૂરા બે વર્ષ પછી મળવાનો આનંદ તો હતો જ.
આમ તો હું કોઈના ઘરે રહેવા જવાનું ટાળતો હતો પરંતુ અમારા સ્મિતાકાકીના અત્યંત આગ્રહને વશ થઈને મારે થોડા દિવસો બાદ એમના ઘરે રહેવા જવું પડ્યું. સ્મિતાકાકીનું ઘર દસ માળના ગગનચૂંબી એપાર્ટમેન્ટમાં હતું. એ એપાર્ટમેન્ટમાં હું રોજ સવારે એક છોકરીને કચરો સાફ કરતાં જોતો. એનું નામ ગીતા હતું. છેક દસમા માળેથી શરૂ કરીને એપાર્ટમેન્ટના ટાવરની ચારેબાજુનો વિસ્તાર એ બરાબર સાફ કરતી. રોજ સવારે છ થી તે છેક દસ વાગ્યા સુધી તે આકરી મહેનત કરતી. વળી, એટલું ઓછું હોય તેમ આટલું કામ કર્યા બાદ તે ઘરે-ઘરે કચરો લેવા જતી. આ તનતોડ મહેનત માટે એને મહિને એક હજાર રૂપિયા મળતા હતા.
એક દિવસે સવારે હું મોડો ઊઠીને જરા આરામ ફરમાવતો ટીવી જોતો હતો અને તે આવી. મને નવાઈ લાગી કારણ કે તે થોડા સમય પહેલા જ કચરો ઉઘરાવીને ગઈ હતી. એ ફરીથી કેમ આવી હશે એમ હું વિચારતો હતો ત્યાં જ એણે સ્મિતાકાકીને પૂછ્યું : ‘બેન, કંઈક ખાવાનું પડ્યું હોય તો આપશો ? બહુ ભૂખ લાગી છે. આજે હું મારા ઘરેથી કંઈ નથી લાવી.’ ગીતાના આવા સવાલથી હું ચોંકી ઊઠ્યો. મને થયું કે માણસને જે વસ્તુ સરળતાથી મળી જતી હોય, એની એને કિંમત નથી હોતી. આપણા માટે જમવાનું કામ કેટલું સરળ છે ! ઘણીવાર તો આપણે ન ભાવતી વાનગી હોય તો અન્નનું અપમાન પણ કરીએ બેસીએ છીએ. પરંતુ આ લોકો માટે તો ખાવાનું મળે એ જ કેટલી મોટી વાત હોય છે ! આપણા જેવા રજવાડી શોખ એમને ક્યાંથી હોય ? ગમે તેમ પણ મને ગીતા પર દયા આવી. ટીવીમાંથી ધ્યાન બાજુ પર હટાવીને હું એ જોવા લાગ્યો કે કાકી હવે શું કરે છે. કાકીએ તેને કહ્યું :
‘જરા બે મિનિટ ઊભી રહે, રસોડામાં જોઈને કહું.’
સ્મિતાકાકીનો સ્વભાવ આમ પાછો દયાળુ. રસોડામાં જઈને એમણે જોયું તો ત્રણ ભાખરી વધેલી. એમણે વધેલી ભાખરી હાથમાં પકડીને ઉપરના માળિયામાંથી પેપરડિશ કાઢી. મને મનમાં થયું કે શું કાકીના ઘરમાં સ્ટીલની ડિશ નહીં હોય ? એમણે પેપરડિશમાં ત્રણ ભાખરી અને અથાણું આપ્યા. મારા માટે જે ચા મૂકેલી એમાંથી થોડી વધેલી ચા એમણે થર્મોકોલના કપમાં ભરી અને ગીતાને આપી. ગીતા ચા-નાસ્તો કરીને પ્રસન્નતાથી વિદાય થઈ પછી મેં કાકીને પૂછ્યું :
‘હેં કાકી, તમે ગીતાને સ્ટીલના વાસણમાં નાસ્તો કેમ ન આપ્યો ?’
કાકીની મુખમુદ્રા થોડી બદલાઈ. કમને જવાબ આપતાં બોલ્યાં : ‘એ તો આ ટાવરમાં કચરો વાળે છે. એને સ્ટીલના વાસણમાં આપીએ તો વાસણ ખરાબ થઈ જાય.’
‘અરે કાકી, પણ સ્ટીલના વાસણ ધોઈ નાખો પછી શું ? એ તો ચોખ્ખા થઈ જાય ! જે વ્યક્તિ તમારા ટાવરની ગંદકી સાફ કરે છે, એની સાથે તમારો આવો વ્યવહાર ?’
‘એ તો આ લોકો સાથે એમ જ હોય. એમને બહુ ઘરમાં ન બેસાડાય, ઘર અભડાઈ જાય. એમની વસ્તુ ન અડકાય.’
‘પરંતુ કાકી, એના શરીરમાં વહેતા લોહીનો રંગ શું જુદો છે ? એ શું સમાજમાં રહેવાને લાયક નથી ? એમાં એનો શું વાંક છે. એ મજબૂરીથી સફાઈનું કામ કરે એટલે શું એ ખરાબ છે ?’
આ પ્રસંગથી મને ખૂબ દુઃખ થયું. મને એ વાતની ખાતરી થઈ કે હજુ આપણે ત્યાં અમુક કોમની વ્યક્તિઓને ખૂબ સહન કરવું પડે છે. ખાસ કરીને નિમ્નકૂળની વ્યક્તિઓ સાથે આવા તો લાખો પ્રસંગો બનતા હશે. ગીતાને આંખ સામે રાખીને અનેક ગરીબોના જીવનની આ હાલત વિચારતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. ગાંધીજી શા માટે સફાઈનું કામ કરતાં હતાં એ વાત હવે મને સમજાઈ. આ પ્રકારના વ્યક્તિઓ માટે તેમણે ‘હરિજન’ શબ્દ શા માટે વાપર્યો હતો એ પણ ખ્યાલ આવ્યો. ડોક્ટર ભીમરાવ આંબેડેકરે અનામતનો કાયદો સંવિધાનમાં શા માટે ઉમેર્યો તે આ ઘટના પરથી વધારે સ્પષ્ટ થયું. આજે કદાચ આ આરક્ષણની પદ્ધતિનો દૂરઉપયોગ થતો હશે, પરંતુ મને લાગે છે કે સો માંથી પચાસ ખરેખરી જરૂરિયાતવાળાને પણ જો એનાથી સુયોગ્ય જીવનધોરણ પ્રાપ્ત થતું હોય તો આ કાયદો સફળ છે. હા, એનો ખોટો ઉપયોગ ન થાય એ પણ એટલું જ આવશ્યક છે. નરસિંહ મહેતાથી લઈને ગાંધીજી સુધીના મહાપુરુષોએ દૂરંદેશી અને દીર્ઘદષ્ટિ વાપરીને જો આવું થોડુંક પણ કાર્ય આ લોકો માટે ન કર્યું હોત તો સમાજના ઉચ્ચ વર્ગોએ તો આ લોકોને પૂરેપૂરા કચડી નાખ્યાં હોત. સાચા અર્થમાં જો આ વ્યવસ્થાનો લાભ સમાજના શ્રમજીવી વર્ગને પ્રાપ્ત થાય તો ગીતા જેવા અનેક લોકોનું જીવન વધારે ઊજળું બને.
[સત્યઘટના પર આધારિત કૃતિ By રવિ પટેલ……. આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.]
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
well , this is the right time 4 all of us to start fight wiht all this kind of social disparity , otherwise we will be back to 12th centur from 21st ,soon without fail ; Let us not wait for any ANNA 4 this kind of any moments , ask ur own anna ………………………………………………..
શ્રી રવિભાઈ
અમદાવાદનાં અહેવાલ માટે અભિનંદન
સ્મિતાકાકીનાં અત્યંત આગ્રહને વશ થયા પછી તેમનીજ ટીકા રૂપે,નરસિંહ મહેતા થી
ગાંધીજી સુધીનાં મહાનુભાવોનાં શુભ વિચારો ? મનમાં ક્યાંક ખટક્યા.
ફરી અભિનંદન
અકબર અલી નરસી
આપ સહુ નો ખુબ ખુબ આભાર…