સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !
જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !
દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !
મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !
પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !
ડૉ.વિવેક મનહર ટેલર
http://vmtailor.com/2006/09/blog-post_20.html
અમારા અચ્છાંદસ મનોપટને ઝંઝોડી નાખતુ આ ઘણુ જ સુંદર કાવ્ય છે. આવી સુંદર અભિવ્યક્તિ સમયની કસોટી પર ચઢેલ અને સિધ્ધહસ્ત કવિ ડો ચીનુ મોદી કહેતા હતા કે ખુલ્લે હાથે સાયકલ તે જ ચલાવી શકે જે સાયકલ ચલાવવામાં નિષ્ણાત હોય બરોબર તેજ વાત ડો વિવેકે કહી
” પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો
વળી બીજી સરસ વાત કહી કવિએ કે સુખી દાંપત્ય જો જોઇતુ હોય તો સારો સાથી બનવુ પડે સારો સાથી શોધવાનો નથી. જે છે તેમને તેમ જ સ્વિકારી લો તો જ સહજીવન સુંદર બનતુ હોય છે.સપ્તપદીના ફેરા આને જ તો કહેવાય છે.
“યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !”
કવિ જ્યારે કવિતા લખતો હોય છે તે લેખીનિ પેલા ફીલ્મીકરણ પામેલ “નવરંગ” ના કવિરાજ જ્યારે જમના તુ હી હૈ મેરી મોહીની કહે છે ત્યારે જ સર્જનની માનસીક હાશ મળે છે તે વાત કહીને ડો. વિવેકે મન ને પ્રસન્નતાથી ભરી દીધુ.
“થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !
ઘણા બધા સુંદર સત્યો એક સાથે આપ્યા વિવેકભાઇ આભાર.
તમારી આ કૃતિ આપની પરવાનગી સાથે http://www.gujaratisahityasarita.wordpress.com પર મુકુ છુ. આવુ ઉત્તમ સર્જન કરતા રહો તેવી વિનંતી સાથે..
Read Full Post »