હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ સાહિત્યના આસ્વાદ સાથે “દિવાળીપર્વ”ની કરેલી ઉજવણી.
તસ્વીરમાં: માર્ટિન લુથર કીંગ અને ગાંધીજીની તસ્વીર ડો. રમેશભાઈ અને ડૉ.ઈન્દુબેનને ભેટમાં આપી રહેલા વિશ્વદીપ અને નાસા કેન્દ્રના વડા વૈજ્ઞાનિક ડૉ.કમલેશ લુલ્લા સાથે જમણી બાજુથી શ્રી ધીરૂભાઈ, શ્રી સુમન અજમેરી, અતુલભાઈ અને ડાબી બાજુથી પ્રવિણાબેન.
********************************************************************************
ગુજરાતી સાહિત્યના વિવિધ આસ્વાદ સાથે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ દિવાળીપર્વની ઉજવણી કરી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ઓકટોબરની ૧૧,૨૦૦૯ના દિવસે યજમાન ડૉ. ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈના ત્યાં દિપોત્સવના ઊમંગ અને નવાવર્ષના આગમનની વધામણી સાથી યોજાઈ. યજમાન ડૉ.શાહ કુટુંબના આગ્રહ એવો હતો કે બેઠક્ની પૂર્વે સૌને દિવાળી ભોજન પછી સાહિત્યની બેઠક શરૂ થાય . સ્વાદિષ્ટ ભોજનનો ગુજરાતી લાડુના આસ્વાદ બાદ બેઠકની શરૂઆત શ્રીમતી ઇન્દુબેને ગણેશ સ્તુતી સાથે દિપ-પ્રાગટ્ય ક્યું. રેખા બારડના મધુર સ્વરે પ્રાર્થના બાદ સૌ આમંત્રિત મહેમાનોનું શાહ કુટુંબે સ્વાગત કરેલ અને સૌ મહેમાનોએ પોત-પોતાનો પરિચય સાથે સભાના સંચાલક ડૉ, ઈન્દુબેને સભાનો દોર લઈ પ્રથમ કવિયત્રી શૈલા મુન્શાને પોતાની કૃતી રજૂ કરવા વિનંતી કરેલ.સાથે “હૈયે હોય દિવાળી, તો હંમેશ દિવાળી”નો નાદ સભામાં રણકી ઉઠ્યો.આજના અનેરા ઉત્સાહ સાથે શ્રી ધીરૂભાઈએ ” ગઈકાલની દિવાળી-આજની દિવાળી” ..”મનનો મિલાપ એજ ખરી દિવાળી”નો આલાપ સાથે રસેશ દલાલ, વિશ્વદીપ “દિવાળી આવી છે , ચાલો અભિમાન, આડંબરને માટીના માટલામાં મૂકી…ગામ ને પાદરે મૂકી દઈએ..કાવ્ય સાથે..દિવાળી વિશે..દિપકભાઈ, હેમંતભાઈ,પ્રવિણાબેન, ઈન્દુબેન,નીરાબેન, દેવિકાબેન, સુમનભાઈ વિધ,વિધ વિષય સાથે દિવાળી પર્વની સમજ ઊંડાણથી કવિતાના આલાપ સાથે આગળ વધી.
આ બેઠકમાં આ વખતે મહાવીર નિર્માણની રસપ્રદ વિગતમાં ‘ગૌત્તમ સ્વામીનો વિલાપ અને ઉત્તરાધ્યાય’,ની માહિતી શ્રી વિજયભાઈ અને શ્રી હેમંતભાઈએ આપી, શ્રોત્તાજનોને મુગ્ધ કરી દીધા. વિષયોમાં વિવિધતા હતી, અશોક પટેલ શૂન્ય પાલનપૂરીનું કાવ્ય,’અમે તો કવિ કાળને નાથનારા’ ભગવાનદાસભાઈ, અંતરમાં અજવાળું કરવાની જરૂર વિશે, સાથો સાથ ફાધર વાલેસની “ગુજરાતી ભાષા”અંગેની પ્રેમનીવાતો ,અતુલભાઈએ ઓકટોબર ૪,૨૦૦૯, હ્યુસ્ટનમાં ઉજવેલ..ગાંધી-જયંતીની રસપ્રદ વાતો કરી સાથો સાથ ‘ગુજરાતી-ભાષા’નું માધ્યમ વિશ્વભરમાં વધે,તેમજ ગુજરાત રાજ્યમાં અગ્રેજી ભાષાના વલણ સાથે ભુલાતી આપણી માતૃભાષા ટકી રહે એના પ્રયાસો કરવા નમ્ર-સુચનો પાઠવેલ.
આ બેઠકમાં પધારેલ નાસાના વડા-વિજ્ઞાનિક ,અને ગુજરાતી ભાષાના ચાહક ડૉ,કમલેશ લુલાએ..’કાઠીયાવાડમાં ભુલો પડે ભગવાન!ના નાદ સાથે ગાંધીજીને નોબેલ પ્રાઈસ ના મળ્યું પણ એમના ત્રણ અનુયાયી..માર્ટિન લુથરકીંગ,ડૉ,માન્ડેલા અને અમેરિકાના પ્રમૂખ ઑબામા જે ગાંધીજીના વિચારોનું આચરણ કરનારા એને નોબેલ પ્રાઈસ મળ્યું એની વિગતવાર વાતો કરી! અતુલભાઈએ તુરત નિર્દેશ કર્યો કે ‘નોબેલ-પ્રાઈસતો ગાંધીજી માટે એક નાનું પ્રતિક કહી શકાય એતો એનાથી પણ મહાન-વ્યક્તિ હતાં’ ડૉ. કમલેશ લુલાએ ડૉ. માર્ટિન લુથરની ઓફીસમાં ગાંધીજીની તસ્વીર વાળો ફોટા ની ફ્રેમ યજમાન ઈન્દુબેન અને રમેશભાઈને ભેટ આપી.
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ “ગુજરાત ટાઈમ્સ”ના સ્વ.પ્રકાશભાઈ પારેખના દુ:ખદ આવસાન નિમિત્તે સ્વર્ગસ્થ અત્માને અંજલી આપતા સમગ્રશ્રોતાજનોએ બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી અને સાહિત્ય સરિતાના સંચાલક વિશ્વદીપે કહ્યું” ગુજરાત ટાઈમ્સના સ્થાપક સ્વ.પ્રકાશભાઈ એ આપણને હંમેશા આપણાં સાહિત્યનો અહેવાલ પ્રકાશીત કરી ટેકો અને પ્રોતાસાહન પુરી પાડ્યું છે.ગુજરાતી સાહિત્ય સરિતા સદેવ તેમના ગુજરાતીભાષા પ્રત્યેના પ્રેમને યાદ કરશે.” ..”ગાંધીજીની જીવનયાત્રા” પુસ્તકમાંથી શ્રોતાજનોને પુછવામાં આવેલ પાંચ સવાલો તેમજ જેણે આ પુસ્તક સંપૂર્ણ વાંચેલ હોય તેમને પુસ્તકની કિમંત ભેટમાં આપાવામાં આવે તેમાં વિજેતા ડૉ.રમેશભાઈ જાહેર થયાં એમણે ભેટ સ્વીકારી તુરત એ ભેટ સાહિત્ય સરિતાને અર્પણ કરી..ત્યારબાદ શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ આભાર-વિધીમા ડૉ.રમેશભાઈ તેમજ ડૉ.ઈન્દુબેનનો હ્ર્દય પૂર્વક આભાર માનતા કહ્યું “સ્વાદિષ્ટ-ભોજન સાથે સાહિત્ય સરિતાની બેઠકનું સુંદર રીતે આયોજન કરી યજમાનગીરી કરવા બદલ આભાર. સભાનું સંચાલન સુંદર અને સમયસર કરવા બદલ ડૉ.ઈન્દુબેન તેમજ વિશ્વદીપને આભાર વ્યકત કરી સભાનું વિસર્જન કરેલ.
અહેવાલ: વિશ્વદીપ બારડ-શૈલા મુન્શા
એક સુંદર મુકતક..
તારીખના જ્યાં જ્યાં લખાણો હોય છે
ત્યાં એક તરફા કાં વિધાનો હોય છે?
હો એકનો શૂરવીર, દોષી અન્યનો
શું સત્યના પણ બે પ્રકારો હોય છે?
હિમાંશુ ભટ્ટ (c) ૨૦૦૯
કવિનું આ સુંદર મુકત વાંચતા લાગે કે સત્યના બે પ્રકારો હોય શકે ખરા? ત્યાં કવિએ પ્રશ્નાર્થ મુકી દીધો છે.ને વાંચકો પર છોડી દીધું છે. પણ ઈતિહાસ, ભુતકાળમાં નજર નાંખો..તો જે હિટલરને જગતના ઘણાં વ્યક્તિ નફરતથી જુએ! પણ બીજા દ્ર્ષ્ટિઅકોણથી જુઓ તો જર્મન દેશમાં એમને પ્રત્યે કુણી લાગણી જોવા મળે! એજ રીતે આપણાં પુરાણ પુસ્તક”રામાયણ”માં રાવણનું પાત્ર ને દરેક વ્યક્તિ જુદી, જુદી દ્રષ્ટિથી જુએ છે..પણ સત્યને કઈ નજરથી નિહાળો એની પર આધાર છે..સત્યતો સત્ય છે..પણ એને સમજવું, જાણવું લોખંડના ચણા ચાવવા સમાન છે..
-વિશ્વદીપ
કુંભારને ગધેડો…

બિચારો થાક્યો પાક્યો ભો..ભો કરે,
કોણ સાંભળે?
સવાર સાંજ એ વૈતર્યુ કર્યા કરે,
કોણ સાંભળે?
“આ-ભાર” ઊચકી, ઊચકી થાકે,
કોણ સાંભળે?
“આ-ભાર” નીચે ખાસો દબાયો,
કોણ સાંભળે?
આ-ભાર ઉચકી ઘરડો થયો,
કોણ સાંભળે?
પીઠ પર પડ્યા છે ચાઠા,
કોણ સાંભળે?
પગ લથડ્યા, ચક્કર આવ્યા.
કોણ સાંભળે?
ભો-પર પડ્યો..પ્રાણ છૂટ્યા,
કોણ સાંભળે?
“આ-ભાર”, “આ-ભાર” કહેતા દબાયો!
કોણ સાંભળે?
દટાઈ મર્યો ભાઈ…”આ-ભાર” નીચે…
કોણ સાંભળે?
(બસ ” આભાર “કહ્યુ એટલે આ ત્રણ અક્ષ્રરમાં વ્યક્તિ એ કરેલા કામની કદર પુરી થાય…”આભાર” કહી એ વ્યક્તિને આ માનવ સમાજ ધણીવાર બસ ભુલીજ જાય છે..ઘણી વ્યક્તિ જીવનનો ભોગ આપી કુટુંબ, સમાજ, દેશ માટે કાર્ય કરે છે…ત્યારે માત્ર..”આ-ભાર’ પુરતો છે ખરો?..કુભાર કોણ ?ને ગધેડો કોણ ? એ આપ વાંચક નક્કી કરો…)
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯


તસ્વીર-૧: ડાબી બાજુ:સાહિત્ય સરિતાના કવિમિત્રો-શ્રોતાજનો
તસ્વીર-૨ જમણી બાજુથી: પ્રવિણાબેન(સભાસંચાલક), વિશ્વદીપ(સંચાલક), કવિશ્રીધીરૂભાઈ , સ્વ. કવિશ્રી પરમાર સાહેબના પત્નિ ફાતિમાબેન, પુત્ર સિરાજ)
****************************************************************************************
હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાની બેઠકમાં આધ્યાત્મિક કવિ.સ્વ.મહમંદઅલી પરમારના “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન.સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૯
હ્યુસ્ટનના આંગણે ગુજરાતી સાહિત્ય સરિતા ફાલી-ફૂલી રહી છે.વેગ વધતો જાય છે,ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યને પ્રાધાન્ય આપવા પુરતા પ્રયાસો થાય છે . એજ લક્ષને ધ્યાનમાં રાખતા
માસિક બેઠકમાં સ્વરચિત કાવ્યો, ગઝલનું પઠન થાય, સાથો સાથ હ્યુસ્ટનના શ્રોત્તાજનો સારી સંખ્યામાં હાજરી આપે છે, સપ્ટેમબરની ૨૦ તારીખે કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટની “ડેલી”માં બેઠક રાખવામાં આવેલ. એમની યજમાનગીરી નીચે હ્યુસ્ટન શ્રોત્તાજનો એ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ, બેઠકનો પ્રારંભ ડૉ.ઈન્દુબેન શાહે સરસ્વતિની પ્રાર્થનાથી કરેલ. શ્રી પ્રદીપભાઈએ સૌ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યુ.આજની બેઠકમા સાહિત્ય સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડે આજની સભા સંચાલન કરવા કવિયત્રી પ્રવિણબેન કડકિયાને વિનંતી કરી. સભાની શરૂઆત સમયને લક્ષમાં રાખી પ્રવિણાબેને દેવિકાબેનને પોતાની કૃતી રજૂ કરવા વિનંતી કરી. સમયને ઋતુને લક્ષમાં રાખી આ વખતનો વિષય હતો..નવરાત્રી નવલી રાત્રીના ગરબા…આંગણે આવી રહેલ..પાનખર ઋતું..દુહા સાથે ગરબા-ગીતની રમઝટ અને એક પછી એક સ્વરચિત કાવ્યો -ગીતો અને ગરબા રજૂ કરવા કવિશ્રી પ્રદીપભાઈ,ધીરુભાઇ શાહ,ફતેહઅલી ચતુર,મનોજ મહેતા,ઈન્દુબેન શાહ,સુરેશ બક્ષી,વિશ્વદીપ બારડ, નીરા શાહ, હેમંત ગજરાવાલા, નવીન બેંકર,પ્રવિણાબેન કડકિયા અને દીપક ભટ્ટે ..”પાનખર”ને સુંદર રીતે રજૂ કરતા કહ્યું:માનવીના જીવનમાં..”પાનખર” એક એવી ઋતુ છે..જે આવે છે, જાય છે. એ તો માત્ર પ્રતિક રૂપ છે..સમજે તો શાણપણ રૂપ છે..પાનખરને લગતા ઘણાં સારા કાવ્યોની રસધારામાં ડુબતા શ્રોતાજનોએ મનભર આનંદ માણ્યો અને કવિઓને તાલીઓના ગડ્ગડાટથી વધાવી લીધા.
બીજા દોરમાં હ્યુસ્ટનના જાણીતા-માનીતા લાડલા સ્વ.સૂફી કવિ મહમંદઅલી પરમારનું “આધ્યાત્મિક કાવ્યો”નું વિમોચન, ગુજરાતી સાહિત્યના પ્રોઢ-વડીલ કવિશ્રી ધીરૂભા શાહના વરદ હસ્તે પરમાર સાહેબની ધર્મપત્નિ ફાતિમાબેન અને પુત્ર સિરાજ પરમારના હાજરીમાં સૌ શ્રોતાજનોએ વધાવી લીધેલ. વિશ્વદીપ બારડે અને ફાતિમાબેને સ્વ.પરમાર સહેબના બે કાવ્યોનું પઠન કરેલ..નાત,જાત અને ધર્મના વાડાથી કઈ દૂર એવા એક અલગારી, બ્રહ્મજ્ઞાની કવિની કવ્ય રચનાતો જુઓ.
તું સુકર્મો કરી લેજે ‘અલી’ આજે ને અત્યારે
જે સુકર્મો કરે છે તે અસલમાં બ્રહ્મજ્ઞાની છે..
ઈશ્વરના નામો તો આપણે પાડ્યા છે..એ તો એક છે..
” ઓ ઈશ્વર, એ પ્રભુ, કે અલ્લાહ ક્યાં નામો લઈ પુજું
ભૂલી નામોના ઝગડા, મે ખરી ભક્તિ કરેલી છે.”
આધ્યાત્મિક કવિશ્રી સ્વ.પરમાર સાહેબનું આ નવ-પ્રકાશિત પુસ્તક”આધ્યાત્મિક કાવ્યો”.નું પુસ્તક બેઠકમાં પધારેલા દરેક વ્યક્તિને ભેટ અને યાદ રૂપે પરમાર કુટુંબે આપેલ. ગુજરાતી સાહિત્ય સરિતાએ એક પ્રખર ફીલસુફ,બ્રહ્મજ્ઞાની કવિને સદા યાદ રાખશે..એ નથી પણ એમની કવિતા સદા ગુજરાતી સાહિત્યમાં જીવંત રહેશે. આજની સભામાં ભારતથી પધારેલ “સંદેશ”ના સિનયર તંત્રી અને પત્રકાર શ્રી જયકાંતભાઈ પટેલનું સાહિત્ય સરિતામાં સ્વાગત કરેલ. એમણે નિવૃતી અને જીવન જીવવા “પૉઝીટીવ”લક્ષ્ને કેન્દ્રીત રાખી કહ્યુ હતું: “મન માંદુ તો તન માંદું”..માનવીએ સભાનતા સાથે જીવવું જોઈએ. વિશ્વદીપે સાહિત્ય સરિતાના યુવાન કવિ શ્રી વિશાલ મોનપરાના કાર્યની બિરદાવતા કહ્યું” ગુજરાતી ભાષા સાથે ભારતની અન્ય આઠ, આઠ ભાષામાં લખી શકાય એવું પ્રમૂખસ્વામી-પેડ રજૂ કરી. આપણાં સાહિત્ય-જગતમાં એક સારી સફળતા પ્રાપ્ત કરી તેનું અમો સૌને ગૌરવ છે..એમની આગવી પ્રગતી માટે મારી હાર્દિક શુભેચ્છા.
સભાના અંતમાં સાહિત્ય સરિતાના સંચાલક વિશ્વદીપે કહ્યું:” યજમાન શ્રી પ્રદીપભાઈ અને રમાબેન બ્રહ્મભટ્ટનો આભાર તેમજ સુંદર વ્યવસ્થા સાથે સૌ મહેમાનોને અલ્પાહાર પિરસવા બદલ સાહિત્ય સરિતા આપની આભારી છે .સભાસંચાલક કવિયત્રી પ્રવિણાબેન કડકિયાએ સમયની સાચવણી સાથે સભાનું સુંદર સંચાલનની કામગીરી કરવા બદલ આભાર”.
અહેવાલ: વિશ્વદીપ બારડ
નૈતિક મુલ્યો-દિનેશ ઓ.શાહ
વીમાન ઉંચે જાય તેમ વૃક્ષો છોડ જેવા લાગે છે
નૈતિક મુલ્યો ઉંચે જાતા મુસીબતો ગૌણ લાગે છે
વિજળી પેદા થતી જ્યારે ધોધ પડતો લાગે છે
જેમ ઉંચો પાણીનો ધોધ, વધુ વોલ્ટેજ આવે છે
ડુંગરને દુરથી જોતા ઉપર જાવું આસાન લાગે છે
મોજા સાગરના મોટા દુરથી છાલક સમ લાગે છે
નૈતિક મુલ્યો હતા ઉંચા નરસીંહ મીરા કબીરનાં
ઝેર પીધાં હસીને એણે ને કરતાલ હજી વાગે છે
વીમાન ખુબ ઉંચે ઉડે તો વાદળ નીચે લાગે છે
દુખના વાદળ વરસે છતાં એ જીવન કોરું રાખે છે
જીવનમાં આ સંદેશ ન ભુલાય એવો લાગે છે
નૈતિક મુલ્યો ઉંચા તો જીવનપથ સરળ લાગે છે
દિનેશ ઓ.શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા,યુ.એસ.એ.
વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણીનો હ્યુસ્ટનમાં કાર્યક્રમ:

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું ધ્યેય:”પરદેશમાં આપણી ગુજરાતી માતૃભાષા અને સંસ્કૃતી જીવંત રહે.” એ ધ્યેયને સિધ્ધ કરવા ગુજરાતમાંથી પધારતા આપણાં મૂલ્યવાન સાહિત્યકારોને આમંત્રિત કરી તેનો લાભ લેવો.આજ શુભહેતુ સાથે આપણા સાહિત્યના પ્રખર વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબને આમંત્રિત કર્યા. હ્યુસ્ટનમાં તેમના ત્રણ દિવસના રોકાણ દરમ્યાન, ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવેલ. ઓગષ્ટ ૮મી શ્રી મધુસુદન દેસાઈ,ઓગષ્ટ,૯મી ગાંધી લાયબ્રેરી,આર્યસમાજ હોલ અને ચીન્મીયા મીશન,જેમાં હ્યસ્ટનવાસીઓએ ઉમળકાભેર હાજરી આપેલ.
ઓગષ્ટ,૮, ૨૦૦૯મીએ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના સાહિત્યપ્રેમી શ્રી મધુસુદન-ભારતી દેસાઈના નિવાસ્થાને બેઠકનું આયોજન બપોરના બે વાગે રાખેલ અને બહુંજ સારી સંખ્યામાં હ્યસ્ટનવાસીઓ એ હાજરી આપેલ.કાર્યક્રમની શરૂયાત યજમાનશ્રી મધુસુદn સૌ અત્રે પધારેલ મહેમાનોનું સ્વાગત સાથે એમના પત્નિ શ્રીમતી ભારતીબેનના મધુર કંઠે ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” સૌ શ્રોતાજનોના તાલ સાથે ગવાયું. ગુજરાતી સહિત્ય સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનો પરિચય આપતાં કહ્યું: “મારે મહેન્દ્રભાઈનો પરિચય આપવો એટલે સૂરજ સામે કોડીયું ધરવા સમાન છે,એતો મારા પિતા સમાન છે .મહેન્દ્રભાઈ લોક-સાહિત્યના પિતા શ્રી ઝવેરચંદ મેઘાણીના જેષ્ટ પુત્ર છે જેમનો મોટાભાગનો આભ્યાસકાળ ભાવનગર અને મુંબઈમાં પસાર થયો છે.એમણે આ જીવન ઘણાં પુસ્તકોનું સંપાદન કરેલ છે, “ગાંધીવાદ”ને બદલે “ગાંધીપ્રેમ” માર્ગ અપનાવ્યો, ૨૫ વર્ષની ઉંમરે અમેરિકા કોલંબસ યુનિવર્સિટીમાં જર્નાલીઝમનો અભ્યાસ અર્થે આવેલ. ઝ્ડપથી વધી રહેલા વિશ્વ અને સમયને લક્ષમાં રાખીશ્રી મહેન્દ્રભાઈ એ ‘ગાંધીજીની આત્મકથા” તેમજ “દક્ષિણ આફ્રીકામા સત્યાગ્રહ” બન્ને પુસ્તકોના ૧૦૦૦ ઉપર પાના થાય છે તેનું સંપાદન કરી ૨૫૦ પાનાનું” સ્ટોરી ઓફ ગાંધીજી” ઈગ્લીશ તેમજ ગુજરાતીમાં સંપાદન કરી પુસ્તક પ્રકાશિત કર્યુ એ ઘણું મહત્વ અને અગત્યનું કાર્ય કર્યું છે.એમના વિષે કહું એટલું ઓછું છે તો હવે સભાનો દોર શ્રી મહેન્દ્રભાઈ ને આપું છે”
૮૭ વયના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાહેબમાં એટલીજ તાજગી અને ઉત્સાહ સાથે ગાંધીજી વિશે એમની આત્મ-કથામાંથી ” વાચન કરતા ગાંધીજીનું બાળપણ એક ઉદાર પિતા અને સાધવી સમાન કઠણ વૃતધારી માતાના સંસ્કારો વચ્ચે પસાર થયુ. નાનપણથી શરમાળ ગાંધીજી”શ્રવણની પિતૃભક્તિ” જેવા પુસ્ત્કનું વાંચન અને “સત્યવાદી રાજા હરિષચંદ્ર” એમનું પ્રિય નાટક અનેકવાર જોયું અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો.૧૩વર્ષની કુમળી ઉંમરે કસ્તુરબા સાથે ગાંધીજાના લગ્ન થયા.ગાંધીજીનો આદર્શ” જે વાંચ્યું તે પસંદ ન પડે તો ભુલી જવું અને પડે તો જીવનમાં ઉતારવું”.ગાંધીજી કસરત માટે જતા , કોઈ ફાયદો ના થયો પણ એમને ખુલ્લી હવામાં ફરવા જવાની ટેવ પડી ગઈ, દક્ષિણ આફીકા ગયા પછી એમના ખરાબ અક્ષર છે એનો પસ્તાવો થયો. ગાંધીજીને અહિંસાનો પાઠ શાંત અને ક્ષમાશીલ પિતા પાસે થી મળ્યો.સંપૂર્ણ શાકાહારી ગાંધીજીને વિલાયતમાં ખાવાની ખણીજ તકલીફ વેઠવી પડી. કદી માંસ ન ખાવાનું એવું માત-પિતાને આપેલ વચન એમને સંપૂર્ણ પણે પાળ્યું.શબ્દોની કરકસર કરનારા ગાંધીજી કદી કરેલ ભાષણો અને લખાણોના એક શબ્દ માટે કદી પસ્તાવો નથી કરવો પડ્યો.આ ઉપરાંત મહેન્દ્રભાઈ એ કાકા કાલેલકરનું”બાપુની ઝાંખી” પુસ્તકમાંથી વાંચન કરેલ..”સારા ખેલાડી બનવું, હું એક કુશળ માળી છું, દોષો શોધવા અઘરા નથી પણ નજરે પડેલ દોષને ફેંકી દેવા અઘરા છે.”સન્યાસ એ માનસિક વસ્તું છે એને ભગવા વસ્ત્રો સાથે સંબંધ નથી”
ત્યારબાદ રવિન્દનાથ ટાગોરની ચિંતન કણીકામાંથી”"આપણે આરંભ કરીએ છીએ..પુરુ કરતા નથી”.”દેશના લોકોને આપણે પૈસા આપીએ, સમય આપી એ, જીવન પણ આપીએ..પણ હ્ર્દય આપી શકતા નથી.એવા ઘણાં ચોટદાર કણીકાઓ વાંચી અંતમાં એમના પિતા ઝવેરચંદ મેઘાણી વિશે વાંચતા કહ્યું :”ઝવેરચંદ મેઘાણીએ પચાસ વર્ષની ઉંમરે ૭૫ જેટલાં પુસ્તકો લખ્યા છે.એમનુ અવસાન ૧૯૪૭માં થયું.ઉમાશંકર જોશી” મેઘાણી સૌરાષ્ટ્રના વીરોને અમર કરવામાં, લોકહ્ર્દયના તાલે તાલે એમનું હૈયું નાચ્યું સુંદરમ: મેઘાણી એટલે “લોક કવિના વારસ”
મહેન્દ્રભાઈ સમયની સાથે અને ઘડીયાળના કાંટા પર નજર રાખતા રાખતા, “ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી” વિગેરે વિષયોની દોઢ કલાકમાં આવરી લીધા.શ્રોતાજનોને રસપ્રદ માહિતી મળી ખુશ-ખુશાલ થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યારબાદ થોડી પ્રશ્નોતરી થઈ અને શ્રીમતી બારોટે ઝવેરચંદ મેઘાણીનું “ચારણ કન્યા” ગીત ગાઈ સૌને ભાવ-વિભોર બનાવી દીધા.સાહિત્ય સરિતાના ખજાનચી અને સંવેદનશીલ શ્રી હેમંતભાઈ ગજરાવાલા એ ‘ સૌનો આભાર” વ્યકત કર્યો.શ્રી વિશ્વદીપે સભાના અંતમાં યજમાનશ્રી મધુસુદન અને ભારતી દેસાઈનો આભાર વ્યકત કરતા કહ્યું” સાહિત્ય સરિતાની બેઠક આપને ત્યાં યોજવાની તક સાથે ભોજનનીપણ વ્યવસ્થા કરવા બદલ અમો સૌ આપના અભારી છીએ.
-અહેવાલ: વિશ્વદીપ બારડ, હ્યુસ્ટન, ટેક્ષાસ
ક્યાંથી વરસે આ વરસાદ ?-દિનેશ ઓ.શાહ

વાદળ ના દેખાયે તો’ય ક્યાંથી વરસે આ વરસાદ?
રુદિયામાં નિરંતર રણકે કોઇની મીઠી યાદ
જીવનના અજાણ રસ્તે કોનો સુણું આ સાદ? ….ક્યાંથી વરસે આ વરસાદ
છાટાં વાગે વર્ષાના, નીતરે મારી આ કાયા
અંતર મારું સુકુ રણ, રહ્યુ રદય ભિંજાયા વિના
જીવનની આ કમનસીબી, કોને કરુ ફરિયાદ?…..ક્યાંથી વરસે આ વરસાદ
વાદળ ગાજે વિજળી ચમકે ચાર દિશા જળ બંબાકાર
ડુબી ગયા ઘરબ્હાર મારા,રહ્યા ફક્ત સ્મૃતિઓના ભંડાર
તાજા વાસી ભોજનિયા, મારે મન મંદિર પરસાદ……..ક્યાંથી વરસે આ વરસાદ
શ્રાવણ ભીંજવે કાયા મારી, હૈયું તુજ યાદ ભીંજાય
મેહુલીઓ તો વરસે મહિનો, હૈયું ભીંજાય બારે માસ
ધરતી તો થાશે લીલીછમ, મારું હૈયું સદા ઉદાસ…….ક્યાંથી વરસે આ વરસાદ
શ્રાવણના જળબિંદુ ખર્યા કે અશ્રુ તુજ પાંપણ ધાર
લાગે છે કે છુપાઇ ગઇ તું આભની પેલે પાર
અદ્રષ્ય થઇ તું વિજળી સમ ફક્ત મુકી ગઇ તુજ યાદ…..ક્યાંથી વરસે આ વરસાદ
ગુજરાતી સાહિત્ય સરિતાની જૂલાઇ-09 મહિનાની બેઠક

(ફોટો સૌજન્ય શ્રી રાહુલ ધ્રુવ)
ગુજરાતી સાહિત્ય સરિતાની જૂલાઇ મહિનાની બેઠક–અહેવાલ–દેવિકા ધ્રુવ.- ૧૯ મી જૂલાઇના રોજ,ઉનાળાની બળબળતી બપોરે “ક્વોલીટી ઇન” ના એક નાનકડાં હૂંફાળા હોલની અંદર ,વરસાદ વગર પણ સૌ ભીંજાતા હતાં એમ કહેવામાં આવે તો એને અતિશયોક્તિ ન સમજશો… હા, હયુસ્ટનની જાણીતી અને માનીતી સાહિત્ય સરિતાની 89મી બેઠક, વિષયનો “વરસાદ” લઇને આવી હતી..
શ્રી પ્રશાંત મુનશાની ભાવભીની યજમાનગીરી, શ્રીમતિ શૈલા મુનશાનું સંચાલન પદ અને શ્રી વિશ્વદીપ બારડનું નેતૃત્વ હોય પછી તો પૂછવું જ શું ?બરાબર બે ને પાંચ મિનિટે “મંદિર તારું વિશ્વ રૂપાળું”ની પ્રાર્થનાના સૂરો શ્રીમતિ રેખાબેન બારડના સુમધુર કંઠે રેલાયા અને શ્રોતાજનો પણ જોડાયા.પ્રશાંત્ભાઇએ સૌનું ભાવભેર સ્વાગત કર્યું અને તે પછી સભાનું સૂકાન શૈલાબેનને સોંપવામાં આવ્યું.તેમણે વિષયને અનુરૂપ મુંબાઇના વરસાદની વાત અને તેમના પ્રિય ગઝલકાર મનોજ ખંડેરિયાની “એવા ફર્યા છે શું ભલા જંતર અષાઢમાં”ની અછડતી ઝલક આપી ક્રમશ:વક્તાઓને બોલાવવાની શરૂઆત કરી દીધી.
સૌ પ્રથમ વારો હતો દેવિકાબેન ધ્રુવનો.તેમણે ગૌરવભેર કહ્યું કે,આપણી સાહિત્ય સરિતાની પોકારમાં કેટલો દમ છે કે વરસાદે ગઇકાલે સાંજે મન મૂકીને વરસવું જ પડ્યુ ! એવાં આ મેઘરાજની સ્વરચના રજૂ કરી :આહા…છલકતી ને મહેંકતી મૌસમ છે,થોડી સરક્તી ને બહેકતી મૌસમ છે. ભીના ભીના ગીતો ગવડાવતી મૌસમ છે,મોહબ્બતની મશાલને મમળાવતી મૌસમ છે. ને આવા વરસાદના આગમન પહેલાં શ્રી મુકેશ જોશીની “ લીલાંછમ પાંદડાએ મલકાતાં મલકાતાં માંડેલી અચરજની વાત” પણ વાંચી સંભળાવી..તે પછી એક વર્ષથી જેમની હાજરીની સતત ખોટ સાલતી હતી તે પ્રવીણાબેન કડકિયાનો નંબર હતો.તેમણે પોતાના યોગના અભ્યાસ અને અનુભવોની પ્રારંભિક વાત કર્યા પછી, એક નાનકડા ઓરડાની અંદર બેસીને બારીમાંથી માણેલા વરસાદની સ્વરચના છેડી કે ‘ આભલેથી અમ્રુત વરસ્યું ને ધરતીની સોડમ ઉભરાઇ;બારીની અંદર હતી તોયે નખશીખ ભીંજાઇ.”તાળીઓના ગડગડાટ વચ્ચે કુશળતાપૂર્વક શૈલાબેને દોર હાથમાં લઇ જાણીતા વિવિધ સર્જકોની ઝલક પંક્તિ અને શબ્દસ્પર્ધાની તૈયારીરૂપ બે બે નવા શબ્દો પીરસતા રહ્યાં. હવે વારો હતો ફૂલવાડીના રાજા શ્રી વિશ્વદીપ બારડનો.વરસાદ વિનાના હયુસ્ટનની જુન-જૂલાઇની ગરમીથી અકળાઇને આક્રન્દ કાવ્ય પોકાર્યું કે : રોટલી શેકાય એટલા રસ્તાઓ હોટ છે;વરસાદ લાવે એવો કોઇ રિમોટ છે ? અને શહેર આખું ભડભડ બળતું નગર લાગે છે,ધરતીની લાજ-આબરૂ લૂંટાઇ ગયા છે; આવ, વરસાદ આવ,કરું તારા વધામણા, કૃષ્ણની બંસીના સૂર પણ સૂકાઇ ગયા.એમની આક્રંદભરી રચનાને શાંત પાડવા હેમાબેન પટેલે કાનાને યાદ કરતું ગીત સંભળાવ્યું :શ્રાવણ વરસે સરવરી ને ઝરમરિયો વરસાદ ને કાના આવે તારી યાદ.
બેઠકમાં રંગ જામતો જતો હતો.એમાં નોખી ભાત પાડનાર વિજય શાહનું નામ આવતા તાળીઓની બુલંદી કઇંક ઓર વધી ગઇ.તેમણે અલબત્ત,વરસાદના શબ્દો વરસાવ્યા !!! ગુજરાતી ભાષાને જીવંત રાખવા,વિક્સાવવાના તેમના અવિરત,ભગીરથ પ્રયત્નરૂપ વરસાદના એકવીસ શબ્દો રજૂ કર્યાં.ઉપરાંત,તેમણે તાજેતરમાં લીધેલ ચીનુ મોદી અને ખલીલ ધનતેજી સાથેની મુલાકાતની થોડી વાતો પણ કરી..અંતે શબ્દસ્પર્ધાની રમત અંગે નિમંત્રણ જાહેર કરી સ્વસ્થાન ગ્રહણ કર્યું. આશા છે આગામી બેઠકમાં જરૂર ભજવાશે. ત્યારપછી શૈલાબેને ઇજન આપ્યું અમારા છંદગુરુ અને પ્રસિધ્ધ ગઝલકાર શ્રી રસિક મેઘાણીને.તેમણે પોતાની લાક્ષણિક ઢબમાં Read more…
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક,૦૬/૨૦/૨૦૦૯


હ્યસ્ટનની હવામાં એક અનોખી સુગંધ ભળતી ભળતી..ચો તરફ ફેલાતી, ફેલાતી,સાહિત્યની સરિતાની જ્ઞાન -ગંગામાં એક અનોખી સૌરભ પ્રસારી રહી છે. એનો ઉત્સાહ અને ઉમંગમાં યુવાનીનું જોમ વધી રહ્યું છે. જ્યાં વસંતની ફોરમ છે, કોયલનો ટહુકો છે,રણકો છે ત્યાં આ ભાવના ટકી રહે એજ પ્રયોજનથી એક સુંદર સાહિત્ય સરિતાની બેઠક, જુન,૨૦,૨૦૦૯..રવિવારે આયોજન આપણાં જાણીતા-માનીતા સંવેદનશીલ કવિ શ્રી હેમંતભાઈ ગજરાવાલાને ત્યાં યોજાઈ.સમય બપોરનો ૧૨.૩૦નો, લન્ચનો,પેટની પુજાનો સમય.યજમાન શ્રીમતી પૂર્ણિમાબેને સ્વાદિષ્ઠ ભારતીય ભોજન પ્રેમથી જમાડ્યું,ત્યારબાદ સમય આગળ વધી ન જાય તે લક્ષમાં રાખી, આપણા અનુભવી સભા-સંચાલક શ્રી રસેશ દલાલે દોર હાથમાં લીધો.સાહિત્યની આરાધના દેવી સરસ્વતિની સ્તુતિ..યા કુંદે…મા સરસ્વતિની પ્રાર્થના શ્રોતાજનો સાથે શ્રીમતી દેવીકાબેન મધુરે કંઠે ગાઈને વાતાવરણને સાહિત્યમય બનાવી દીધું.મુંબઈથી અમેરિકા..અને એ પણ એક શિક્ષિકા, એક કવિયત્રી શ્રીમતીશૈલા મુન્શાએ પિતાના વાત્સલ્યને યાદ કરતા, ભાવ-વિભોર બની “પુષ્પ અને જીવન વાણી”માં વહેતી કૃતી શ્રોતાજનોને પ્રિય લાગી.શબ્દોને પાલવડે..કવિતાના મોતી ભરનાર કવિયત્રી દેવીકાબેન ધ્રુવએ એમની લયબધ કૃતિ..
“પુષ્પ નથી તો ઉપવન નથી
ઉપવન નથી તો આ કવન નથી,
પુષ્પ નથી તો સજની અને સનમ નથી
પુષ્પ નથી તો જીવન નથી.
પુષ્પ અને જીવન..એક બીજાને કેટ્લાં આત્મિય છે! આ સુંદર રચના સાથે વિજયભાઈની “શબ્દયાત્રા”ના પંથમાંથી ગુજરાતી ભાષાના નવા શબ્દો રજૂકર્યા..મજા આવી ગઈ.’વાત્સલ્યના લીલા,લીલા પાન..મેં તો પીધા મીઠા મધુરા પાન” ની કવિતા શ્રી વિશ્વદીપ બારડે” Father’s day” નિમિત્તે પિતાને યાદકરી સંવેદન-સુરે કવિતા રજૂ કરી સૌને ભાવ-વિભોર કરી દીધા.
સિંહ-ગર્જના વગર જુનાગઢની તળેટી સુની લાગે તેમ સાહિત્ય સરિતામાં રસિક મેઘાણીના પહાડી સ્વરે..”માનો કે ના માનો “ગઝલ રજૂ કરી વાતાવરણ જુસ્સેદાર બનાવી દીધું અને સોનામા સુગંધ ભળે એમ લેબટૉપમાંથી ચુનંદા ગીતો, શાયરી, ગઝલ જાણીતા-મનીતા ગાયકોના સ્વરે સાંભળવા મળ્યાં એ સભાના સુત્રધારની એક અનોખા પ્રયોગની સંપૂર્ણ સફળતા હતી.
આજની બેઠક સાહિત્ય સરિતામાં સરતા, સરતા આગળ વધી રહી હતી,,એના દોરમાં આજે ઘણું જોર હતુ!એના હિસ્સેદાર રુપે ધીર ગંભીર, સાદી પણ સચોટ શૈલીના કવિ શ્રીધીરૂભાઈ શાહ, સાથો સાથ અશોકભાઈ પટેલ પોતાની અનોખી અદા સાથે અને પ્રશાંત મુન્શા પણ રમુજ સાથે રજૂ થયા.ભારતથી અમેરિકાની અવારનવાર મુલાકાતી વંદનાબેન એન્જીનીયર, એક લેખિકા, કવિ અને નિબંધકારે તાજેતરમાં લખેલ ખ્યાતનામ થયેલ પુસ્તક
“એલિસબ્રીજ સર્જક..રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ”ની વેશેષ માહિતી તેમજ તેમણે લખેલ પુસ્તકોની સમજ શ્રોતાજનો આપી.લાગણીશીલ, મોભેદાર કવિયત્રી વંદનાબેન આપણી સાહિત્ય સરિતાનું ગૌરવ છે.
માનવતતાવાદી ને સંવેદનશીલ કવિ શ્રી હેમંતભાઈ આ વખતે એક અનોખી વાત..”પ્રાણીમાં જીવ-દયા હોય છે..એમાં પણ લાગણી ને મમતા હોય છે “એ સત્ય ઘટના..લેપટૉપ પર સૌને બતાવી શ્રોતાજનોને ભાવ-વિભોર બનાવી દીધા.
છેલ્લા છ મહિનાથી ગુજરાતી સાહિત્ય સરિતાનો દોર હાથમાં લઈ, ઘણી સુંદર બેઠકોનું આયોજન કરનાર શ્રી જયંતભાઈ પટેલ તેમજ શ્રી સુરેશ બક્ષી બન્નેના સાહિત્ય સરિતા આભારી છે. ગુજરાતી સાહિત્યના સંચાલક તરીકે શ્રી વિશ્વદીપ બારડ નિયુક્ત થયા.
શ્રી સુરેશભાઈ તેમજ અતુલભાઈ સભામાં ઘણી અગત્યની જાહેરાતો કર્યાબાદ અંતમાં મધુર કંઠી શ્રી પ્રકાશ મજબુદારે બે ગઝલ ગીત સંભળાવી,વાતાવરણને સંગીતમય બનાવી દીધું.સભાના સુત્રધાર શ્રી રસેશ દલાલે સમય-સાચવી, સુંદરરીતે સભાનું આયોજન કર્યું તે બદલ સાહિત્ય સરિતા એમની આભારી છે. સાથો સાથ યજમાન.”ગજરાવાલા ફેમીલી”એ આપેલા સુંદર આવકાર સાથે..સ્વાદિષ્ટ ભોજન માટે સાહિત્ય સરિતા એમની પણ ઋણી છે.
અહેવાલ: રસેશ દલાલ, વિશ્વદીપ બારડ
ડૉ. મણીલાલ હ.પટેલ સાથે જ્ઞાન-ગોષ્ઠી..

(તસ્વીર: પહેલી હરોળ (ડાબી બાજુથી):જયંત પટેલ,મધુસુદન દેસાઈ, દિનેશ શાહ,ડૉ.મણીભાઈ પટેલ,વિશ્વદીપ બારડ,વિનોદ પટેલ,
બીજી હરોળ:(ડાબી બાજુથી):પ્રશાંત મુનશા, શ્રીમતી ગાંધી, ભારતી દેસાઈ,શૈલા મુનશા,પૂર્ણિમા ગજરાવાલા,ભારતી મજબુદાર, રેખા બારડ,જીગીશા સંડેસરા, કલ્પના શાહ, ગીતા ભટ્ટ,
ત્રીજી હરોળ:(ડાબે બાજુથી):ફતેહ અલી ચતુર,દિપક ભટ્ટ,હેમંત ગજરાવાલા,અશોક પટેલ,પ્રકાશ મજબુદાર,કમલેશ સંડેસરા)
**********************************************************************************************
પરદેશમાં રહી ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમભાવ તેમજ આપણી માતૃભાષા, આપણી ગુજરાતી સંસ્કૃતિ સદા ટકી રહે એજ ભાવના એજ હેતુ થી ભારતથી પધારેલ એક સર્જક, વાર્તાકાર, કવિ અને વિવેચક ડૉ. મણીલાલ હ.પટેલનો લાભ હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રજાને મળે એ પ્રયોજનથી જુન,૨૮,૨૦૦૯,રવિવાર, બપોરે ૨.૦૦વાગે ગુજરાતી સાહિત્યના સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડને ત્યાં બેઠક રાખવામાં આવેલ અને ઉમળકાભેર સાહિત્ય પ્રેમીઓ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ.ડૉ.મણીભાઈ એ પણ અમારું આમંત્રણ હર્ષભેર સ્વીકારી લીધેલ.
બેઠકની શરૂઆત ડૉ.મણીભાઈનું ફૂલ-ગુચ્છથી સપના બારડે સ્વાગત કરેલ.વિશ્વદીપ બારડે ડૉ.મણાભાઈનો પરિચય આપતા કહ્યું:”ગુજરાતી સાહિત્યક્ષેત્રે અગ્રગણી એવા ડૉ.મણીભાઈનો પરિચય આપવો એ મારા માટે ગાગરમાં સાગર ભરવા સમાન છે.ડૉ. મણીભાઈ આપબળે આગળ આવનાર એક સર્જક અને અધ્યાપક ગુજરાતી સાહિત્યમાં ઘણાં પારિતોષકો મેળવ્યાં છે.૨૦૦૪માં એક ઉત્તમ અધ્યાપક અને ભાવકપ્રિય સાહિત્યકાર તરીકે એમનું સન્માન ગુજરાતના મૂખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને હસ્તે થયું હતું.એવો એક અગ્રગણી વાર્તાકાર ,કવિ અને વિવેચક છે.આપણે સૌ તેમને સાંભળીએ અને એજ એમનો વિશેષ પરિચય છે.”
ડો. મણીભાઈએ શરુઆત કરતા કહ્યું “સુખતો પંતગિયા જેવું છે, જેમ જેમ પકડવા જાવ તેમ તેમ દૂર ભાગતું જાય છે..સમય પસાર નથી થતો આપણે પસાર થઈ જઈ એ છીએ..કેવું સાહિત્ય જગતમાં ટકી શકે? એની ઊડી સમજણ આપતા કહ્યું “કાળ સામે જે સાહિત્ય બાથ ભીડી શકે એ સાહિત્ય ટકે છે.ગુજરાતી સાહિત્યમાં ઘણું લખાયું છે અને આજ પણ લોકોના હૈયામાં, મનમાં વસી ગયું છે, જીવંત છે. લેખન વિશે ખ્યાલ આપતા કહ્યું કે દરેક લેખક પોત-પોતાને અનુભુતી અને અનુભવને પોતાનું ક્ષેત્ર બનાવે છે. એનો દાખલો આપતા પ્રિયકાંત મણીયારની કવિતા..”એ લોકો”..એ લોકો પહેલા અનાજની ગુણો ભરીને સીવી રાખે છે.. અને ભુખ્યો માણસ મરી જાય પછી શેર શેર વેચે છે.” આ કાવ્ય હેતુલક્ષી કાવ્ય ગણાય, બીજુ સાહિત્ય કુદરત વિશે અને ત્રીજુ સાહિત્ય આપણાં જીવનની એકલતાને આવરી લેતુ સાહિત્ય. સુરેશ જોશીની કવિતા..”કવિનું વસિયતનામું’..કાલે કદાચ ન હોઉં..અને સૂરજ ઉગે તો કહેજો..કે મારી બિડાયેલી આંખમાં એક આંસુ સુકવવું બાકી છે..ના ઉદાહરણ સાથે સમજાવેલ કે શબ્દોને ત્રણ ગુણધર્મ હોય છે..”શબ્દ વાદ છે,શબ્દ લય છે, શબ્દ અર્થ છે. એના સંદર્ભમાં એમની એક સુંદર કવિતા રજૂ કરી..”બાની સાથે ગયું બાળપણ..ગામ જવાની હઠ છોડી દે..વસ્તી વચ્ચે વિસ્તરતું રણ, ને ગામ જવાની હઠ છોડી દે, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની…ગામડું ..ગામડું નથી રહ્યું..જયાં પ્રેમભાવ,,ઉષ્માભર્યો આવકાર હવે નથી રહ્યો..જાણેકે હવે સગાઈજ નથી રહી..કાવ્યના પઠન સાથે સૌ શ્રોતાજનો ભાવ-વિભોર બની ગયેલ્.પોતાના સ્વરચિત તેમજ અન્ય કવિઓનાની રચના રજૂ કરતાની સાથે સાથે વાર્તા, કવિતા કે નિબંધ કેવી રીતે લખાવી જોઈ એ એની ઊડી ચર્ચા કરીને સાથો સાથ સાચી સમજ પણ આપી..પોતાના પિતાશ્રી સાથે થયેલા–ખાટા-મીઠા અનૂભવનો ઉલ્લેખ કરતા પ્રેક્ષકો સાથે પોતે પણ ભાવ-વિભોર બની ગયેલ..શું હોય છે પિતાજી..તે દિવસે ક્યારીમાં પાણી વાળતા વિધૂર પિતાને જોઈને..આ કવિતા જ્યારે રજૂ કરી ત્યારે ઘણાં શ્રોતાજનોની આંખો ભીની થઈ ગઈ હતી..
લગભગ બે કલાક ચાલેલ આ બેઠક ઘણી મહ્ત્વ પૂર્ણ હતી અને પરદેશમાં બેઠેલા અને ગુજરાતી સાહિત્યના ચાહકો, લેખકો, કવિઓ માટે ઉત્સાહ ભરનારી અને “જ્ઞાન સાથે ગમ્મત’ભરી સભા હ્યુસ્ટનના આંગણે યોજય એને માટે ગુજરાતી સાહિત્ય સરિતા ડૉ.મણીભાઈ પટેલ હૃદય પુર્વક આભારી છે.બેઠકના અંતમા GSS સ્થાપક શ્રી દિપકભાઈ ભટ્ટે આભાર માનતા કહ્યું..”હ્યુસ્ટનમાં સાહિત્યની ઘણી બેઠકો યોજાયેલી છે જેમાં પહેલી,,ડૉ.રઈશ મણીયાર, બીજી ડૉ.વિનોદ જોશી અને આ ત્રીજી બેઠક આપની જેમાં અમોને ઘણીજ રસપ્રદ માહિતી મળી છે સાથો સાથ અવિરત આનંદ મળ્યો છે..જેને માટે અમો સૌ આપને આભારી છીએ.શ્રોતાજનોની તાળીઓના ગડગડાટ સાથે બેઠક પુરી થઈ સાથો સાથ શ્રીમતી રેખા બારડે તૈયાર કરેલ ચા-પાણીને અલ્પાહાર લઈ સૌ છૂટા પડેલ.
અહેવાલ: વિશ્વદીપ બારડ

વાંચકોના પ્રતિભાવ