***********************************************************************
ઓક્ટોબર ૧-૨૦૧૧ ગાંધી જયંતિ ના શુભ દિને શ્રી મુકુંદભાઈ ગાંધી ના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની ૧૧૫મી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આનંદની વાત એ છે કે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો દશાબ્દિ ઉત્સવ માર્ચ અને મે મહિનામાં “હુંરિટાયર્ડ થયો” નાટકની ભવ્ય સફળતા બાદ થોડો વિશ્રામ લીધા બાદ સાહિત્ય સરિતાની આ પહેલી બેઠક યોજાઈ જેમા લાંબી આતુરતા બાદ બહોળી સંખ્યામાં શ્રોતાજન અને કવિજને હાજરી આપી.એ હ્યુસ્ટનની સાહિત્યપ્રેમી પ્રજાનો ઉત્સાહ બતાવે છે.
જોગાનુજોગ નવરાત્રિ અને ગાંધી જયંતિ સાથોસાથ હોવાથી વિવિધ વાનગીઓ નો રસથાળ કવિ મિત્રો પાસેથી માણવા મળ્યો.
કાર્યક્રમ ની શરૂઆત હેમંતભાઈ ભાવસારે દેવિકાબેન રચિત પ્રાર્થનાથી કરી જે સંગીતે નિષ્ણાંત હેમંતભાઈએ જાતે કમ્પોઝ કરી છે રાગ યમન કલ્યાણમા. શબ્દો છે,
“રક્ષા કરો વિપત્તિમાં એવી ન પ્રાર્થના મારી,
લાગે ન ભય આ આપત્તિમાં એવી જ પ્રાર્થના મારી.”
બીજું દેવીકાબેન રચિત કાવ્ય “ન કોઈ અહીં” પણ હેમંતભાઈએ રાગ માલકૌંસમા સંભળાવ્યું.
મુકુંદભાઈ એ સૌનું હાર્દિક સ્વાગત કર્યું અને દિપકભાઈએ એમનો આભાર માનતા કહ્યું. ‘ આજની બેઠક એ આજ સુધીની સહુથી મોટી બેઠક છે અને સાહિત્ય સરિતા એ આપણો આત્મા છે અને દર મહિને મળતી બેઠક આપણ ને નવો પ્રાણવાયુ પુરો પાડે છે.’
ત્યારબાદ સભાના સંચાલન નો દોર દિપકભાઈ ભટ્ટે વિશ્વદિપ બારડને સંભાળવા વિનંતી કરી.સમયને હાથમાં રાખી આગળ વધવાનું હતું અને આજની બેઠકમાં ઘણાં કવિ-લેખક વક્તા હતાં. વિશ્વદીપ સંચાલક તરીકે ની એમની કલા અનોખી અને અનેરી હતી. દરેક કવિને રજુ કરતાં પહેલા એ કવિની-લેખકની સ્વરચિત રચનામાંથી સુંદર પંક્તિ લઈ, શ્રોતા સમક્ષ રજૂ કરી કવિને પ્રોત્સાહિત કરી કાવ્ય કે લેખ રજુ કરવા વિનંતી કરતા.
સહુ પ્રથમ દેવિકા બેનને આમંત્રિત કર્યા.
દેવિકાબેને પોતાની ગઝલ “કયામત છે’ રજુ કરી.
“”ગણી’તી તાજની ખુબી
મીનાકારી કરામત છે.
”
પ્રવિણાબેન કડકિયાએ ગાંધીજી ની યાદમાં એમના બહુ જાણીતા અવતરણો વાંચ્યા.
“માનવતામાંથી વિશ્વાસ કદી ના ગુમાવશો.” વગેરે વગેરે……
એમની સખી દત્તા શાહ જે લંડન થી આવ્યાં હતા એમણે ગાંધીજીના અહિંસા વિશેના વિચારો પર પ્રકાશ પાડ્યો.
‘અહિંસા એ બોલવાનો નહિ પણ જીવવાનો વિષય છે. હિંસા હથિયાર થી જ નહિ પણ વાણીથી પણ થતી હોય છે. અહિંસામય જીવી શકાય એના પર ચર્ચા ન કરી શકાય.”
વિશ્વદિપ બારડે કહ્યું. ઓક્ટોબર માસ આપણાં માટે નસીબવંતો છે.ગરબાની રમઝટ અને ગાંધી-જયંતીનો માસ છે સાથો સાથ એક ખાસ વાત કહી કે આ વખતે ઓક્ટોબર મહિનામાં પાંચ શનિવાર, પાંચ રવિવાર ને પાંચ સોમવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે.
નવરાત્રીનો રંગ જમાવવા કોકીલ કંઠી શ્રીમતિ ભારતીબેન દેસાઈને વિનંતી કરી જેની સરખામણી શમશાદ બેગમ સાથે થઈ શકે. નવરાત્રિ હોવાથી એમણે સુંદર ગરબો.
“હું હું રે! માનુ ઝાંઝરિયું વાગે” પોતાના મધુર કંઠે ગાઈ સંભળાવ્યો ને વાતાવરણ મા ઝમક આવી ગઈ.
હેમાબેન પટેલે જયેશ ચિતલિયા ની કવિતા “મોનસુન” સંભળાવી.
“વરસાદ વિના તારી યાદ ભીંજવે મને.”
ચીમનભાઈ પટેલ પોતાના વ્યંગ અને હાસ્ય કાવ્ય લેખનથી જાણીતા છે. એમણે સાહિત્ય સરિતાના મોટાભાગના કવિ મિત્રો ને સાંકળી સરસ મજાનુ નજરાણુ પેશ કર્યું.
વિલાસબેન પિપળીયા જે “માસી” ના હુલામણા નામથી ઓળખાય છે, ને જેમના અવાજની ઓળખ દિવાળીબેન ભીલ સાથે કરવામા આવે છે એમણે નવરાત્રિ ને મા અંબા ભવાની પર લખાયેલા અને ખુબ જાણીતા લોકગીતો નો લહેકભેર રસાસ્વાદ કરાવ્યો.
ફતેહ અલીભાઈ ચતુરે એમના માનીતા કવિ અશોક ચક્રધર નુ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કાવ્ય
“સંસ્ક્રુત વિધ્યાલય મે ગુરૂને ચેલે સે કહા” સંભળાવ્યું.
મનોજ મહેતા જે સારા સંગીતકાર ગાયક અને ગઝલકાર છે, એમણે પોતાની ગઝલ “રસ્તા” સુંદર ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવી.
“ખાલી ભર્યાં વાંકાચુકા રસ્તા ઘણા મળ્યા,
એવાં જ જુવોને આદમી વસતાં ઘણા મળ્યા”
શૈલાબેન મુન્શાએ “ઘટના’ એ પ્રસંગ વાંચી સંભળાવ્યો જેમા એક જ દિવસમા બનેલા ત્રણ જુદા જુદા બનાવોની મનપર થયેલી અસર વિશે વાત કરી.
ડો. ઈન્દુબેન શાહે અંગ્રેજી કાવ્ય “ઈન્સ્પીરેશનનો એમણે કરેલો ભાવાનુવાદ “આશીર્વાદ” સંભળાવ્યો.
સૌના વડીલ એવા શ્રી ધીરૂભાઈ શાહે જૈનો ના પર્યુષણ નિમિત્તે અને ગાંધીજી ના સરદાર વલ્લભભાઈ પટેલ ની નિકટતા અને સંબંધો ની વાત કરી. તેઓ ગાંધીજીના હનુમાન હતાં.
અંબુભાઈ દેસાઈ એ એમના જીવનમા બનેલી કરૂણ ઘટના અને એના પરથી વિજયભાઈ શાહે લખેલી વાર્તા “કદાચ” વિશે વાત કરી.
સુરેશભાઈ બક્ષીએ ગની દહીંવાલા ની ગઝલ પરથી રચેલી પેરોડી સંભળાવી.
“બે ભાઇઓ માં પડી તકરાર એવી” તથા સંદિપ ભાટિયાની ગઝલ “નથી લખ્યાં એ અક્ષર લઈને જીવ્યાં કરીશું” સંભળાવી.
સમય ધાર્યા કરતાં આગળ ધપી ગયો.સુંદર આયોજન સાથી બેઠક અહીં પુરી થઈ. સમય મર્યાદામાં અન્ય કવિઓને રજૂઆત કરવાની તક ના મળી એનો ખેદ રહી ગયો.ત્યારબાદ થોડી વાતો દશાબ્દિ મહોત્સવ વિશે થઈ. શ્રી મુકુંદભાઈ એ “હું રિટાયર થયો” નાટક અને અનંતરાય વિધ્યાપતિ નુ પાત્ર ક્યારે કેમ આકાર પામ્યું એની પૂર્વભુમિકા આપી.
ગયા વર્ષે લગભગ ઓગષ્ટ મહિનાની બેઠકમા દશાબ્દિ મહોત્સવ ઉજવવાનુ નક્કી કરવામા આવ્યું અને સમગ્ર આયોજન ની જવાબદારી રસેશભાઇને સોંપવામાં આવી.
દશાબ્દિ નિમિત્તે બે કાર્યક્રમો યોજાયા. મોટાભાગના ભાગ લેનાર સભ્યો પચાસ વર્ષથી વધુ વયના હતા.
રસેશભાઇએ કાર્યક્રમની વિગત આપતા કહું. ‘આપણી સાહિત્ય સરિતાનો આ પહેલો ભવ્ય કાર્યક્રમ થયો અને ઘણીજ મોટી સંખ્યામાં હ્યુસ્ટના શ્રોતાજનોએ હાજરી આપી એ આપણી સફળતા અને ગૌરવની વાત છે .સાથો સાથ આવા ભવ્ય કાર્યક્રમમાં જે પણ થોડી ક્ષતી રહી ગઈ તેને ભવિષ્યમાં સુધારી આપણાં ધ્યેય સાથી આગળ ધપવું.”
પ્રશાંતભાઈ મુન્શાએ હિસાબ ના લેખાંજોખા પહેલીવાર પાવર પોઈંટ થી સમગ્ર સાહિત્ય રસિકો ની સામે રજુ કર્યાં.
સહુથી મોટી વાત દશ વર્ષથી દર મહિને કોઈ સભ્યને ત્યાં એમની ઈચ્છા થી ભેગા થતા આ સાહિત્ય સરિતાના સભ્યો એ હિંમત કરી આટલો મોટો કાર્યક્રમ રજુ કર્યો.દરેક સાહિત્ય સરિતા સભ્યોએ તન-મન અને સમયનો ભોગ આપી ઘણાં લાંબા સમયની મહેનતને દાઝ આપવી ઘટે.સાહિત્ય સરિતાતો વહેતીજ રહેશે..જેના નિર્મળ જળ સાહિત્યરૂપી સાગરમાં જઈ ભળશે અને એ સાગરમાં આપણે સૌ સાથે મળી આપણી નૌકાને હંકારવાની છે.
મુકુંદભાઈ ગાંધી એ એક અનેરો ઉત્સાહ બતાવી આ બેઠકનું આયોજન પોતાના ઘેર થાય એવો આગ્રહ અને એમની સાહિત્ય સરિતા પ્રત્યેની લાગણીને સાહિત્ય સરિતા સદા આભારી રહેશે.
અંતમાં મુકુંદભાઈ ગાંધીએ સૌ પધારેલ મહેમાનોને પાંવ ભાજી સાથે ઠંડાઈ પિરસ્યા બદલ સાહિત્ય સરિતા એમનો આભાર વ્યકત કરે છે,
શૈલા મુન્શા તા. ૧૦/૦૫/૨૦૧૧